મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહના નેતા તરીકે ચૌદમી વિધાનસભાના સાતમા સત્રના પ્રથમ દિવસે નિયમ-44 હેઠળ નિવેદનમાં રાજ્યના ધરતીપુત્રોને આ વર્ષે ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલ પાક નુકશાન સામે પેકેજની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યની આ ખેડૂત હિતલક્ષી સરકાર હંમેશા ખેડૂતોની વિપદામાં તેમની મુશ્કેલીના સમયમાં પડખે ઉભી રહેનારી સંવેદનશીલ સરકાર છે. આ સંદર્ભમાં સીએમ રૂપાણી ઉમેર્યુ કે, ઓગસ્ટ-2020માં મહિનામાં રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદને પરિણામે ખેતરોમાં પાણી ભરાવાના પરિણામે ખેતી પાકોને નુકસાન થયેલું છે. આ નુકસાની સામે સહાય આપવા અંગે રાજ્યના ખેડૂત, ખેડૂત સંગઠનો અને પ્રજાના જનપ્રતિનિધિઓએ રાજ્ય સરકારને કરેલી રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા આ સહાય પેકેજ આપ્યું છે.
મુખ્યમંત્રીએ વિધાનસભાગૃહમાં નિયમ-44 અન્વયે કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘‘રાજ્યમાં ચાલુ સાલે ચોમાસાની શરુઆત સારી રીતે અને સમયસર થયેલ હતી. શરુઆતના તબક્કામાં ખેતીને અનુકુળ માફક સરનો વરસાદ થયેલ હતો અને રાજ્યના તમામ જિલ્લાઓમાં ખુબ સારા ઉત્પાદનના સંજોગો હતા. પરંતુ ઓગષ્ટ માસ દરમિયાન રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ થયો અને તેથી ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેતી પાકોને નુકશાનના અહેવાલ છે’’.